Monday, September 16, 2024
GujaratSurat

પાટીલે પોતાની લીડ વધારવા વારાણસીમાં PM મોદીની લીડમાં દાટ વાળ્યો

નવસારીમાં જીત મેળવવા માટે પાટીલે લોહીનું પાણી કરતી મહેનત કરી હતી પરંતુ વારાણસીમાં નરેન્દ્ર મોદી ની લીડ વધે તે ઉપર ખાસ મહેનત કરી ન હતી

હમણાં જ લોકસભા ચુંટણીનું ઐતિહાસિક પરિણામ આવ્યું છે અને ભાજપને ધારી જીત મળી નથી એ પણ સત્ય છે. ભાજપના વિવિધ અગ્રણીઓએ નક્કી ટાર્ગેટ અને વ્યક્તિગત કરેલ ભવિષ્યવાણી મુજબ નું કશું થયું નથી. અનેક અગ્રણી પૈકી ના એક ડંફાસ સી આર પાટિલે મારી હતી. તેમણે કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ગુજરાતની ૨૬ માંથી ૨૬ બેઠકો અને પ્રત્યેક બેઠક પાંચ લાખના માર્જિન થી જીતવાની વાત કરી હતી. સાથોસાથ વારાણસીમાં પી એમ મોદીને સમ્માન જનક લીડ અપાવવા માટે પણ સુરતથી કાર્યકર્તાઓ ને વારાણસી મોકલી દેવાયા હતા છતાંપણ પાટીલની પણ પરિસ્થિતિ પામ્યા વગરની ભવિષ્યવાણી ખોટી પડી છે અને વારાણસી માં પીએમ મોદી ગત ચૂંટણી કરતાં પણ ખુબ ઓછી લીડ થી જીત્યા છે.

નવસારીમાં જીત મેળવવા માટે પાટીલે લોહીનું પાણી કરતી મહેનત કરી હતી પરંતુ વારાણસીમાં નરેન્દ્ર મોદી ની લીડ વધે તે ઉપર ખાસ મહેનત કરી ન હતી. માટે જ વડાપ્રધાન માત્ર દોઢ લાખની લીડ થી જીત્યા હતા. જેથી હવે નરેન્દ્ર મોદીએ ગુજરાતના નેતાઓ ઉપર ભરોસો કરવો મુશ્કેલ લાગી રહ્યું છે. પરિસ્થિતિ એવી બની હતી કે સ્થાનિક નેતાઓએ નરેન્દ્ર મોદીને પરિસ્થિતિથી વાકેફ કરવા પડ્યા હતા. અને તેમણે અમિત શાહને તાબડતોડ વારાણસી દોડતા કર્યા હતા. અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવી દરેક નેતાઓની ક્લાસ લીધો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું.
આવી પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, બડબોલા અને આરંભે શુરા ગુજરાત ભાજપના નેતાઓને વારાણસીમાં કોઈપણ પ્રકારનો પ્રચાર કાર્ય કરવામાં રસ ન હતો. જમીની હકીકત થી વડાપ્રધાન નું સમય રહેતા ધ્યાન ન દોરવામાં આવ્યું હોત તો પ્રધાનમંત્રી ને કદાચ ૫૦,૦૦૦ ની લીડ પણ કદાચ ના મળી હોત. ઉલ્લેખનીય છે કે ,વર્ષ ૨૦૧૯ માં નરેન્દ્ર મોદીને ૪,૭૯, ૫૦૫ મતની લીડ મળી હતી.

વાત તો એવી પણ થઈ રહી છે કે પાર્ટીલે નવસારીમાં પોતાનો પ્રચાર ખૂબજ જોરથી કર્યો હતો. પરંતુ વારાણસી માં પ્રચારનો પડઘમ જોર શોર થી કરવામાં પાટીલ એન્ડ કંપનીને કોઈ રસ રહ્યો ન હતો. અહી એ પણ નોંધપાત્ર છે કે , પાટીલને ૭,૦૦,૦૦૦ની લીડ મળી છે. બીજી તરફ રાહુલ ગાંધી અખિલેશ યાદવ જેવા વિપક્ષે નેતાઓ ત્રણ ચાર લાખની લીડથી જીત્યા છે. ભાજપના નેતાઓએ પોતાના ઘણા પ્રચારમાં આ નિવેદનો આપ્યા હતા કે આ વખતે કોંગ્રેસનો સફાયો થઈ જશે પરંતુ નરેન્દ્ર મોદી કરતાં વધારે રાહુલ ગાંધીએ રાય બરેલીમાં ૩.૯૦ લાખની સરસાઈ મેળવી છે. ભાજપનો ચહેરો કહી શકાય એવા નરેન્દ્ર મોદીને છેલ્લા દસ વર્ષમાં આવી પરિસ્થિતિ જોવી પડી હોય તો તેની અંદર કયા નેતાને જવાબદાર કહી શકાય કા તો પછી શું આની માટે જવાબદાર આપણી જનતા છે જેમણે પોતાનો અધિકારનો સ્વીકાર કર્યો નહીં પોતે વોટ આપ્યો નહીં. સુરતમાં જે પ્રકારનો માહોલ બનેલ હતો દરેક વ્યક્તિને એવું લાગતું હતું કે સુરતમાં ચૂંટણી નથી માટે જ સુરતની આસપાસના ઘણા વિસ્તારોમાં સરકારી અધિકારીઓએ જઈને લોકોને જાગૃત કરવા પડ્યા શું આવા જ અમુક કારણોને લીધે પુરા દેશમાં ભાજપનો પડઘો શાંત પડ્યો હોય તેવું લાગે છે. આવનાર સમયમાં આ પ્રકારની જીત જોયા બાદ નરેન્દ્ર મોદી હવે પાટીલને કઈ જવાબદારી આપે છે તે જોવાનું રહ્યું.

 

BYA News SURAT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *